સચિન પીઠવા, સુરેન્દ્રનગર
મૂળ સુરેન્દ્રનગરના વતની અને વરસોથી અમેરીકાના લોસ એન્જલસમાં સ્થાઈ થઈને ગુજરાતના લોકસંગીત તેમજ લોકકલાના વારસાને સાત સમંદર પાર જીવંત રાખનાર લોકગાયક શ્રી અરવિંદભાઈ મુગટલાલ જોશીનું તા.૬/૯/૨૦૨૩ બુધવાર શિતળા સાતમની સાંજે ૮૮ વરસની ઉંમરે અવસાન થયેલ છે.
અરવિંદભાઈના પ્રિય કલાકાર હેમુ ગઢવીનું જન્માષ્ટમીના દિવસે અને અરવિંદભાઈનું શિતળા સાતમના દિવસે અવસાન થયેલ છે.
અરવિંદભાઈ છેલ્લા બે વરસથી બિમાર હતા પરંતુ ૮૫ વરસની ઉંમર સુધી એક યુવાનને પણ શરમાવે એવાં પહાડી અવાજથી ગીતો ગાઈ શકતા હતા. એમનાં કંઠે ઝવેરચંદ મેઘાણીની અમર રચના મને લાગ્યો કસુંબીનો રંગ સાંભળવી એ જીવતરનો લહાવો ગણાતો હતો.
અમેરીકાના કેલિફોર્નિયા રાજયમાં કોઈપણ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોષી અચૂક હાજર રહીને પોતાની કલા રજું કરતાં અને પોતાના વિશાળ જ્ઞાનનો પરીચય કરાવતા હતા.
એ ગુજરાત તેમજ ભારતની લોકકળા, લોકસંગીત અને લોકસાહિત્યને જીવંત રાખવા અહીં Indian Culture Academy of Los Angeles નામની સંસ્થા સ્થાપીને સતત કાર્યરત હતા.
એમના પરિવારમાં પત્ની રમાબહેન, પાંચ પુત્રી અને એક પુત્ર છે. તેમજ અનેક મિત્રો અને ચાહકોનો એક વિશાળ વર્ગ એમના અવસાનથી શોકાતુર થયો છે. એમના જવાથી નોર્થ અમેરીકાને એક અણમોલ કલાકાર અને સાહિત્યનાં સંવર્ધકની ન પુરાય એવી ખોટ પડી છે.
થોડાં વરસ પહેલા સુરેન્દ્રનગર ખાતે અરવિંદભાઈ જોષીનું ક્લારત્ન એવોર્ડથી સન્માન તેમજ લોસ એન્જલસની સંસ્થાઓ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માન થયું હતું .
અરવિંદભાઈ જોષી જાણીતા હાસ્ય કલાકારો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના અંગત મિત્ર હતા અને ડો. જગદીશ ત્રિવેદીના માસા થતાં હતા.