લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક બેઠક પર વિરોધની સ્થિતિ વણસી રહી છે. સાબરકાંઠાથી માંડીને પોરબંદર સુધી કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલાયા બાદ સ્થિતી વધુ વણસી છે. ભીખાજી ઠાકોરના સમર્થકોએ અરવલ્લી-સાબરકાંઠા માથે લીધુ છે ત્યારે અમરેલીના સાંસદનું દર્દ છલકાયું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આડકતરી રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે.
નારણ કાછડિયા નારાજ હોય તેમ જણાઈ રહ્યું છે
ગુજરાતમાં સાતમી મેએ લોકસભાની 26 સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ભાજપે ગુજરાતમાં તમામ બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ છે જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાનું નામ પણ સામેલ છે. તેમની ટિકિટ કપતા નારાજ હોય તેમ જણાઇ રહ્યું છે. તેમની ટિકિટ કપાતા સોશિયલ મીડિયા પર એક ગીત લખેલી પોસ્ટ શેર કરી છે.
સાંસદે સોશિયલ મીડિયા પર બે પોસ્ટ શેર કરી
તેમની પેસ્ટમાં લખ્યુ છેકે, જયારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલુ ઉભુ હશે જયારે અસત્યની ફોજ મોટી હશે. અસત્ય પાછળ મૂર્ખાઓનું ટોળુ હશે. આખરે તો વિજય સત્યનો થશે. આ ઉપરાંત તેમની અન્ય એક પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યો છે, જે વીડિયોના ટાઈટલમાં લખેલું છે કે, જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. ભાજપ હાઈકમાન્ડે નારણ કાછડિયાનું પત્તુ કાપીને અમરેલીમાં ભરત સુતરિયાને ટિકિટ આપી છે. કાછડિયાની પોસ્ટ કોના તરફ ઈશારો કર્યો છે તે સવાલ ઉઠયો છે.
ચૂંટણી કાર્યાલય બંધ કરી દેવાતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ
ઉલ્લેખનયી છે કે અમરેલીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું મંડપ સંકેલી દેવાયુ છે જેથી તર્ક વિતર્ક વહેતાં થયા છે. ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉચાળા ભરાયા છે. બે મહિના પહેલાં ગુજરાતમાં એક સાથે 29 લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયા હતાં તે પૈકીનુ આ ચૂંટણી કાર્યાલય બંધ કરી દેવાતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.