- કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે : જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં અવસર ડિસ્કાઉન્ટ માટે ઘણા વેપારીઓએ સહમતી દર્શાવી છે.
તેમણે વધુમાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લામાં આગામી તા.૦૬/૦૫/૨૦૨૪ એટલે કે મતદાનના આગળના દિવસ સુધી જિલ્લામાં મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવીને છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના તમામ મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.
આ સાયકલ રેલી જિલ્લા સેવા સદનથી શરૂ થઈને સરકારી દવાખાનું-મહાત્મા ગાંધીજીની પ્રતિમા-બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા- બસસ્ટેશન-પેટ્રોલપંપ ચાર રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી સાથે આ સાયકલ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી. શેખ, પ્રાંત અધિકારી વિમલ.બારોટ, પોલીસકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર