- પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીના વાલીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે
- વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે
@PD DABHI
રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની ચિંતા કરી તેના માટે સુરક્ષા કવચ એટલે કે વિદ્યાદિપ વિમા યોજનાની શરૂઆત કરી હતી. જેમાં અકસ્માતે મૃત્યુ પામતા વિદ્યાર્થીનાં વાલીને વિમાની મળતી રકમ ચુકવવામાં આવે છે અને તે વિમાનું પ્રીમિયમ રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થી દિઠ ભરવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં ર૬મી જાન્યુઆરી-ર૦૦૧ ના રોજ મહા વિનાશકારી ભૂકંપ બાદ રાજ્ય સરકારે વિદ્યાદીપ યોજના અમલમાં મૂકી છે. વર્ષ ર૦૦ર-૦૩ થી આ યોજનાની શરૂઆત થયેલ છે. આ યોજનાનો ઉદેશ પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અકસ્માતે થતાં અવસાનનાં કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપઘાત કે કુદરતી મુત્યુ સિવાયનાં કિસ્સામાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નકકી કરવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં રૂ.પ૦,૦૦૦/-(રૂ.પચાસ હજાર પુરા) દાવો રજુ કરી શકાય છે.
જેમાં નેશનલ ઈન્શયોરન્સ કંપની લી. ગાંધીનગરનાં જણાવ્યા મુજબ (૧) એફ આઈ આર ની નકલ, (ર) પોસ્ટમોર્ટમ રિપોર્ટ, (૩) આચાર્યશ્રીનું પ્રમાણપત્ર, (૪) સરપંચશ્રી તથા અન્ય અગ્રણય વ્યકિતઓનું આ બનાવ અંગેનું પંચનામું, (પ) ગ્રામ્ય વિસ્તાર માટે ગામનાં તલાટી કમ મ્રત્રીશ્રીનું મરણ અંગેનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (૬) એડવાન્સ રીસીપ્ટ વારસદારની સહી સાથે સરકારશ્રીએ નકકી કરેલ નમુનામાં (પરિશીષ્ટ-૧) મુજબ વારસદારને મૃત્યુની તારીખથી નિશ્ચિત કરેલ સમય મર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે આશ્રમશાળા અધિકારીશ્રીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે. આ યોજના હેતુ માટે લાભાર્થીનાં વારસદાર તરીકે મા-બાપ તેમની ગેરહાજરમાં ભાઈ, અપરણિત બહેન તેમની ગેરહાજરીમાં તેમનાં કાયદેસરના વારસદાર વ્યકિત રહેશે.
હાલમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવશે તે તમામને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનાં વિદ્યાદીપ વીમા યોજનાનાં પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.