@મોહસીન દાલ, ગોધરા,
ગોધરામાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લેણદારોને મુક્ત કરવાના પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ ઝુંબેશમાં ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં પુનઃ બે વ્યાજખોરોના ત્રાસ સામે ગુન્હો દાખલ કરાયો છે. એમાં શહેરના કનેલાવ રોડ ઉપર આવરણ સોસાયટીમાં રહેતા અને એક ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ શાહે કોરોના ના કપરા દિવસોમાં કામ ધંધો કરવા માટે પાંચ ટકાના વ્યાજે પાંચ લાખ રૂપિયા લઈને પોતાની કાર ગીરવે મૂકીને સામે કોરા ચેકો પણ આપ્યા હતા. આ રકમ વ્યાજ સાથે ચૂકતે કર્યા બાદ પણ વધુ બે લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણીઓ ની ધાકધમકીઓથી ત્રસ્ત બની ગયેલા સ્વપ્નિલ શાહે બે વ્યાજખોર ચહેરા આત્મપ્રકાશ શ્રીચંદ્ બસવાણી અને કમલ શ્રીમાળી સામે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના કનેલાવ રોડ, મણીબા નગર, આવરણ સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ જયેશકુમાર શાહ પોતાની પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં કોરોનાકાળને લઈને આર્થિક મંદી હોવાથી મારી નોકરી છૂટી જવાથી મારે સંતરામપુર ખાતે ટ્રેક્ટરનો શો-રૂમ ચાલુ કરવા માટે મૂડીની જરૂર હતી. જેથી મારા પરિચિત કમલ શ્રીમાળી (રહે. પાંજરાપોળ, એસ.બી.આઈ.બેન્કની બાજુમાં, ગોધરા)નો સંપર્ક કર્યો જેને મને કહ્યું કે ગોધરાના આત્મપ્રકાશ શ્રીચંદ્ર બસવાણી (રહે.રાજેશ્વરી મોબાઈલની દુકાન ઉપર, ધાનકાવાડ) વ્યાજે પૈસા આપે છે તેવી ભલામણ કરી હતી. મારે શો-રૂમ ખોલવા માટે પૈસાની જરૂર ખૂબ જ હતી, માટે મને કમલ શ્રીમાળીએ આત્મપ્રકાશ સાથે તેમની દુકાન ઉપર મીટીંગ કરાવી મને ૫% માસીક વ્યાજે પેટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને નોટરી કરાવી હતી. જેમાં વ્યાજે નાણાં લીધા છે તેઓ ઉલ્લેખ કર્યો ન હતો. નોટરીમાં અવેજ પેટે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના કોરા ચેક અને ગીરો પેટે મારી હુન્ડાઈ ગાડી નં.જી.જે.૧૭.બી.એન.૪૪૫૫ નોટરી સમક્ષ લખી આપી હતી. તેમજ મે ધીરે ધીરે રૂપિયા પાંચ લાખ પૈકી ₹ ૩,૫૦,૦૦૦/- વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. જ્યારે ₹.૧,૫૦,૦૦૦/- બાકી હતા જે માટે આત્મપ્રકાશ શ્રીચંદ્ર બસવાણી તથા કમલ શ્રીમાળીએ અવાર -નવાર મારા ઘરે આવી અપશબ્દો બોલી મારી સાથે બોલચાલ અને ઝઘડો કરી વ્યાજ સહિત નાણાં તાત્કાલિક આપવા માટે બળજબરી કરતાં હતા. જેથી મે તેમને કહ્યું હતું કે, નાણાંની વ્યવસ્થા ન હોય જ્યારે મુદ્દત માંગતા મે મુદ્દત આપી નહિં ત્યારે તેઓએ કહ્યું કે, દાગીના હોય તો દાગીના આપી દે અને રોજેરોજ સોસાયટીમાં આવીને અપશબ્દો બોલતા હતા. જેથી શરમના મારે મે મારા પિતાએ આપેલા દોઢ તોલાની સોનાની ચેન જેની કિંમત ₹ ૫૦,૦૦૦/- અને વાઘના નખ આકારનું સોનાનું પેન્ડલ જેની કિંમત ₹ ૧૫,૦૦૦/-નું મારી પાસેથી લઈ ગયા હતા અને કહેતા હતા કે, જ્યારે રૂ. 1,50,000 આપીશ ત્યારે તારા દાગીના લઈ જજે. જેથી મેં ઉછીના ₹ ૧,૫૦,૦૦૦/- મારા જીજાજી પાસેથી લઈને મે આત્મપ્રકાશ શ્રીચંદ બસવાણીને વ્યાજ સહિત આપી દીધા છતાં જ્યારે મેં મારા દાગીના અને ગાડી તથા કોરા ચેક માંગ્યા તો તેને નહીં આપીને વધુ બે લાખની માંગણી કરી હતી. જેથી સ્વપ્નિલ જયેશકુમાર શાહે બંને વ્યાજખોર સામે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો દાખલ કરીને કાયદેસર વધુ તપાસ હાથ ધરી છે.