@મોહસીન દાલ, ગોધરા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે વર્ષ ૨૦૧૮માં લોન્ચ કરેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આયુષ્માન ભારત યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરીકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળી રહ્યો છે.આ યોજના અંતર્ગત ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓનો સમાવેશ કરાયો છે.
વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો, આ યોજના અંતર્ગત કુલ ૩.૬૦ લાખ ઉપરાંત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે આ પી.એમ.જે.એ.વાય.યોજના અંતર્ગત કુલ ૯૧ હજાર લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૮થી અત્યાર સુધી પંચમહાલ જિલ્લામાં કુલ ૩૧,૯૪૭ કલેઇમ થકી લાભાર્થીઓને રૂ.૭૮.૬૪ કરોડની સારવાર સહાયનો લાભ અપાયો છે. જિલ્લા ખાતે કુલ ૧૦ પ્રાઈવેટ હોસ્પિટલ અને ૨૯ સરકારી હોસ્પિટલ સદર યોજના હેઠળ જોડાયેલ છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાલૈયા ગામના રહેવાસી રોહિતભાઈ કટારા કે જેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. અમી હોસ્પિટલ, ગોધરા ખાતે તેમના ધર્મપત્નીને પ્રસૂતિને લઈને દાખલ કરાયા હતા. તે દરમિયાન એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો હતો. જન્મ સમયે આ ટ્રિપ્લેટ બાળકોનું વજન ઓછું હતું, શ્વાસ લેવામાં તકલીફ હતી તેમજ ઓછું સુગરમાત્રા સહિતની અન્ય તકલીફો પણ ધરાવતા હતા.ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા આ પરિવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ ઘનિષ્ઠ સારવાર કક્ષ (એન.આઈ.સી.યુ.)માં સારવાર મેળવવી પરીવાર માટે ઘણી મુશ્કેલ હતી કારણ કે તેનો ખર્ચ દોઢ થી બે લાખ રૂપિયા જેટલો થાય છે.
બાળકોની તકલીફોની જાણ થતા પરીવારના મોભી રોહિતભાઈને ચિંતાનું મોજું ફરી વળ્યું તેમજ તેઓ બાળકોની સારવાર માટે મોટો ખર્ચ કરી શકે તેવી સ્થિતીમાં નહોતા. આ કપરા સમયે પરિવાર માટે સરકારના આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતના સહયોગથી આયુષ્યમાન કાર્ડ કડીરૂપ બન્યું. આ પરીવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આ મુશ્કેલ સમયમાં સહારો બની, આશિર્વાદરૂપ પુરવાર થયું છે.
રોહિતભાઈ તેમના પ્રતિભાવ આપતાં જણાવે છે કે,મારા ત્રણેય બાળકોની સારવાર પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કરવામાં આવી છે.મારા બાળકોને આજે ફરી જીવનદાન મળ્યું છે તથા તેઓ અત્યારે બિલકુલ સ્વસ્થ બન્યા છે. આ માટે તેઓ સરકારનો આભાર વ્યક્ત કરતા સદર યોજના અમારા જેવા ગરીબ પરીવારો માટે આશાનું કિરણ સાબિત થઈ છે.