‘ઘરમાં બૈરૂ પાણીનો ય ભાવ નથી પૂછતી, ને મને શિખામણ દેવા નીકળ્યા…’: નીતિન પટેલ ભરાયા ગુસ્સે
સામાન્ય રીતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જાહેર મંચ પરથી એકદમ બિદાસ્ત થઈને વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા ઘણી વખત આપણે જોયા છે, ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ટોણો માર્યો હતો. તેમણે મંચ પરથી સલાહ આપતા નેતાઓને કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. તેમણે સલાહ આપનારને આડે હાથ લઈને કહ્યું કે ‘જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે.’ આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ.
અગાઉ પણ નીતિન પટેલે ચમચાગીરી કરતા નેતાઓને આડેહાથ લીધા હતા
ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે અગાઉ પણ શીખામણ અને ચમચાગીરી કરતા નેતાઓને આડેહાથ લઈને કહ્યું હતું કે ક્યો કાર્યકર ચાલે અને ક્યો ન ચાલે એની મને જેટલી ખબર છે તેટલી કોઈને ખબર નહીં હોય. ચમચાગીરી વગર તટસ્થતાથી કામ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે ‘ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે.’ મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે શીખામણ આપતા નેતાઓને ટોણો મારીને માર્મિક ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતાં.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી લડવાની અગાઉ જ ના પાડી હતી
નોંધનીય છે કે નીતિન પટેલે અગાઉ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને પોતાની લોકસભાના ઉમેદવારી પરત ખેંચીને લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. તેમણે લખ્યું હતું કે ‘ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરુ છું.’ ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મેએ તમામ બેઠકો પર મતદાન થવાનું છે.