બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. આજ રાતે 12 વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવામાં આવ્યો છે. આજ રાતે 12 વાગ્યાથી આગામી 15 તારીખ સુધી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કર્યા
દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કર્યા છે. દરિયામાં ભારે કરંટ હોવાથી આ તમામ લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
રાજ્યના 44 તાલુકાઓમાં બે કલાકમા બે ઈંચથી વધુ વરસાદ
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ, ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડા તાલુકામા બે કલાકમા બે ઈંચથી વધુ વરસાદ થયો છે.
રાજકોટમાં 14 અને 15 જૂનનાં રોજ શાળા કૉલેજોમાં રજા
પ્રભારી મંત્રી રાધવજી પટેલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ અધિકારીઓ સાથે બેઠક બાદ શાળા કૉલેજો બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રહેશે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટ જિલ્લામાં 136 નીચાણવાળા સ્થળોએથી લોકોને ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ
રાજકોટ જિલ્લામાં પણ શરુ થઇ વાવાઝોડાની અસર ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.
15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાશે
હવે વાવાઝોડું પોરબંદરથી 310 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાઈ શકે તેવી શક્યતા છે. આ વાવાઝોડું 680 કિમીમાં ફેલાયેલું છે જેના કારણે તેના વમળો ગુજરાત સાથે અથડાઈ રહ્યા છે.
તિથલ બીચ ખાલી કરવાનો આદેશ
વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. આ કારણે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને ખાલી કરવામાં આવ્યો છે.
જામનગર અને અમરેલીમાં વરસાદના ઝાપટા
ગુજરાત રાજ્યમાં મેધરાજાએ એન્ટ્રી કરી દીધી છે. જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરમાં ધીમી ધારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તેમજ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે.
પૂનાથી ભાવનગર જતી ફલાઇટને અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરાઈ
વાવાઝોડાના કારણે કેટલીક ફલાઇટો રદ કરાઈ તો કેટલી ફલાઇટને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની પૂનાથી ભાવનગર જતી ફલાઇટ અને ઈન્ડિગોની લખનઉથી મુંબઇ જતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફલાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ભાવનગરના ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટો
ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીર ગઢડામાં વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
જાણો ક્યાં કેવી પરિસ્થિતિ
- કંડલા બંદરે 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
- ગુજરાતના 9 પોર્ટ પર ચાર નંબરનું સિગ્નલ
- 11 પોર્ટ પર બે નંબરનું સિગ્નલ
- સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટલ એરિયામાં ઓરેન્જ એલર્ટ
- પ્રતિ કલાકે બે કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું
- ગુજરાતમાં 15 જૂને ભારે વરસાદની આગાહી
- પીએમ મોદીની મહત્વની બેઠક
- ઓખામાંથી 1250 લોકોનું કરાયું સ્થળાંતર
- 10 જિલ્લામાં NDRF, SDRFની ટીમો તૈનાત
- કચ્છ- સૌરાષ્ટ્રના 12 બંદરો પર લગાવાયું સિગ્નલ
- કંડલા બંદર પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ બંધ
- વિશાળ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં રોકી દેવાયા
- વાવાઝોડાના કારણે ભાજપે ગુજરાતમાં પોતાની તમામ જનસભાઓ મોકૂફ રાખી
- વાવઝોડું પોરબંદરથી માત્ર 320 કિમી દૂર
- દ્વારકામાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
- 14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
- 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના
- 16 જૂને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે જામનગર, દ્વારકા અને કચ્છના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
- પોરબંદરમા 10 નંબરનું સિગ્નલ લગાવાયું
- કચ્છના દરિયા કિનારે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ
પીપાવાવ પોર્ટની મૂલાકાતે પહોંચ્યા ભાવનગર રેન્જ આઈ.જી.
ગુજરાતના દરિયા કિનારે તોફાની માહોલ સાથે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર એક્સન મોડમાં જોવા મળી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પીપાવાવ પોર્ટ જેટીની મૂલાકાતે પહોંચ્યા હતા. દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળ બેટની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
દ્વારકાધીશ મંદિરે ચડાવાઈ એક સાથે બે ધજા
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. એવામાં દ્વારકામાં વાવાઝોડાની અસર વર્તવાની શરુ થઇ ચૂકી છે. દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ચડી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.
પોરબંદરમાં વાવાઝોડાની અસર
પોરબંદરના દરિયા કાંઠે વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેની સાથે સાથે ગીર સોમનાથ, કોડિનાર વગેરે વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા કલેક્ટર અને SP સાથે બેઠક કરી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા કલેક્ટર અને SP સાથે બેઠક કરી. અધિકારીઓ સાથે બેઠક બાદ હર્ષ સંઘવી વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. કલેક્ટરે ડિઝાસ્ટર વિભાગની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કરી ચર્ચા હતી. રૂપેણ બંદર વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. નીચાણવાળા વિસ્તારમાંથી 2500 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક 10 નંબરનું સિગ્નલ
વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જખૌ, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવાનો આદેશ
કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયા નજીક હોવાથી આ નિર્ણય લેવાયો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. કચ્છના જખૌ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગવામાં આવ્યું છે.
કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ
વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય તમામ શાળાઓ અને કોલેજ બંધ. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જોવા મળ્યો કરંટ
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ હટાવી 3 નંબર સિગ્નલ લગાવ્યું આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબર સિગ્નલ લગાવ્યું છે.
લેન્ડ ફોલ કચ્છમાં થવાની શકયતા
આ વાવાઝોડું 15 જૂનના રોજ લેન્ડફોલ કરી શકે તેવી શક્યતા છે. 15 તારીખે બપોરે આ વાવાઝોડું કચ્છ ખાતે લેન્ડફોલ કરી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં વધુ 2 NDRF મોકલાઈ
NDRFની વધુ 2 ટીમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત આવવવા માટે રવાના થઈ છે. અત્યારે કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRF, NDRFની 2-2 ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા NDRFની 1 ટીમ રિઝર્વ રખાઈ છે.