Gujarat By-Election 2024 : ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. ભાજપે છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પેટાચૂંટણીમાં ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામા આવી છે. જે બતાવે છે કે ભાજપે આખરે વચન પાળ્યું છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે.
કોને કોને મળી ટિકિટ
વિજાપુર – સીજે ચાવડા
પોરબંદર – અર્જુન મોઢવાડિયા
માણવદર – અરવિંદ લાડાણી
ખંભાત – ચિરાગ પટેલ
વાઘોડિયા – ધર્મેન્દ્રસિંહ વાઘેલા
7 મેના રોજ પેટા ચૂંટણી માટે મતદાન
વાઘોડિયા, વીજાપુર, ખંભાત માટે મતદાન
પોરબંદર અને માણાવદર માટે મતદાન
વીસાવદર બેઠક પર હાલ મતદાન નહીં
4 જૂને પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેએ લોકસભાની ચૂંટણી યોજાશે. તો 4 જૂને મતગણતરી થશે. આ સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામા આવી છે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. વિસાવદર બેઠકનો મામલો કાયદાકીય દાવપેચમાં ગૂંચવાયેલો હોવાથી આ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી.
આજે કમલમમાં મોટી બેઠક
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોને લઈ ચર્ચા થશે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ક્લસ્ટર ઈન્ચાર્જ હાજર રહેશે. સાથે જ સાબરકાંઠાના વિવાદ બાદ ભીખાજી ઠાકોર પણ કમલમ કાર્યાલય ખાતે હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીને રણીનીતિ અને કામગીરી અંગે ચર્ચા થશે.
કોંગ્રેસનુ કોકડુ હજી ગુંચવાયેલું
બીજી તરફ, ચૂંટણીની જાહેરાત છતાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ બાકી છે. કોંગ્રેસનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું છે. સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયું છે. કોંગ્રેસે 7 બેઠકો પર હજુ પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ઉમેદવાર જાહેર નથી કર્યા, તો વડોદરા અને અમદાવાદ પૂર્વમાં ઉમેદવારની જાહેરાત પણ બાકી છે. નવસારીમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેરાત બાકી છે. આ માટે કોંગ્રેસની CEC બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર લાગશે. આવતીકાલે કોંગ્રેસની CEC બેઠક મળશે. એક તરફ ભાજપે પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસના હજી કોઈ ઠેકાણા નથી દેખાતા.