ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું છે.
બંને ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બંને આગેવાનો કેસરિયા કરે તેવા સંકેતો છે.
અલ્પેશ અને ધાર્મિક બંને વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા
વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. અલ્પેશ કથરીયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી.