સેનામાં કામ કરવા માટે રશિયા ગયેલા ભારતીયોની સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે પરંતુ તેમને યુદ્ધના મેદાનમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. યુક્રેન દ્વારા કરવાં આવેલા હુમલામાં 23 વર્ષીય ગુજરાતી યુવકનું મોત થયું છે. આ 23 વર્ષીય યુવક ગુજરાતનો રહેવાસી હતો અને રશિયન આર્મીમાં સુરક્ષા હેલ્પર તરીકે જોડાયો હતો. ગુજરાતનો એક 23 વર્ષીય યુવક રશિયન સૈન્ય દ્વારા સુરક્ષા સહાયક તરીકે નોકરી કરતો હતો, તે 21 ફેબ્રુઆરીના રોજ યુક્રેનિયન હવાઈ હુમલામાં માર્યો ગયો હતો, આ હુમલામાંથી બચી ગયેલા અન્ય એક ભારતીય કર્મચારીએ જણાવ્યું હતું. તે રશિયા-યુક્રેન સરહદ પરના ડોનેત્સ્ક ક્ષેત્રમાં તૈનાત હતો. જ્યારે મિસાઈલ હુમલો થયો ત્યારે તેને ગોળીબાર કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી. આ હુમલામાં યુવકે જીવ ગુમાવ્યો હતો.
અહેવાલ મુજબ, સુરતનો રહેવાસી હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો અને બાદમાં રશિયન આર્મીમાં જોડાયો હતો. આ મહિનાની શરૂઆતમાં, હેમિલના પિતાએ ભારતીય વાણિજ્ય દૂતાવાસને એક પત્ર લખીને તેને ઘરે પરત લાવવામાં મદદ માંગી હતી. રશિયન આર્મી સાથે કરાર પરના અન્ય કેટલાક ભારતીયોએ પણ દૂતાવાસનો સંપર્ક કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે હજુ સુધી તેમને આ ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
મૃત્યુના એક દિવસ પહેલા પિતા સાથે વાત કરી હતી
હેમિલના પિતાએ જણાવ્યું કે તેમણે 20 ફેબ્રુઆરીએ હેમિલ સાથે વાત કરી હતી. તેના એક દિવસ પછી જ તેનું અવસાન થયું. કર્ણાટકના સમીર અહેમદે આ ઘટના વિશે જણાવ્યું કે તેમનાથી 150 મીટરના અંતરે હેમિલ ફાયરિંગ અને મિસાઈલ ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે અચાનક વિસ્ફોટ થયો ત્યારે અમે ખાઈમાં છુપાઈ ગયા. થોડા સમય પછી અમે બહાર આવ્યા તો જોયું કે હેમિલ મૃત્યુ પામ્યો હતો. તેના પર મિસાઈલ હુમલો થયો હતો. આ પછી અમે તેનો મૃતદેહ ટ્રકમાં રાખ્યો હતો. તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીએ જે ટુકડી પર હુમલો થયો હતો તેના ચાર ભારતીયો પણ હતા. આ હુમલામાં નેપાળના એક નાગરિકનું પણ મોત થયું હતું.
તાજેતરના દિવસોમાં આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નેપાળ અને ભારતના કેટલાક લોકો રશિયન સેનામાં જોડાયા છે. એક રિપોર્ટ અનુસાર 100થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા છે. તેમાંથી મોટા ભાગનાને સુરક્ષા સહાયક તરીકે રાખવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રશિયન સેનાને મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને ઝડપથી બહાર કાઢવા માટે વાતચીત ચાલી રહી છે.