@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં જાણે લકવો થઈ ગયો હોય તેમ કોઈપણ અધિકારી કે કર્મચારી સુઓ મોટો પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવતા નથી તેવું જોવા મળી રહ્યું છે. એટલે જ લોકોની ફરિયાદ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી પહોંચે છે. ત્યારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા અને સરતાનપર ગામમાં સરકારી ખરાબ કે ગૌચરમાં સરકારી જમીનમાં દબાણ થઈ ગયા છે. અને ત્યાં પાકા બાંધકામો કરી લીધા છે.
સરકારના મહેસુલ વિભાગના છેલ્લા પરિપત્ર મુજબ સરકારી ખરાબાની જમીનમાં દબાણ દૂર કરાવવાની જવાબદારી સ્થાનિક મામલતદારની છે. પરંતુ આ પરિપત્રને વાંકાનેર મામલતદારે કચરા ટોપલીમાં ફેંકી દીધો હોય તેમ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને વધુ એક રજૂઆત કલેક્ટ કલેક્ટર કચેરીમાં થતા તે અરજી અન્વયે વાંકાનેર મામલતદારને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
મોરબીમાં રહેતા યશવંતસિંહ ભવાનીસિંહ જાડેજા એ જિલ્લા કલેકટરને પત્ર લખીને જણાવ્યું છે કે વાંકાનેરમાં જવાબદાર વહીવટી તંત્રએ સુઓ મોટો જમીન દબાણની કાર્યવાહી કરવી જોઈએ પણ તેમ કરવામાં આવતું નથી. રાતાવિરડા ગામે મોઝાર્ટ ફેક્ટરીના લેઆઉટ પ્લાન્ટમાં જેટલું ક્ષેત્રફળ છે તેટલા ક્ષેત્રફળમાં જ લેબર ક્વાર્ટર્સ નું જે બાંધકામ કરવામાં આવ્યું છે કે નહીં? લે આઉટ પ્લાનમાં દર્શાવેલા ક્ષેત્રફળમાં તેનો સમાવેશ થાય છે કે સરકારી ખરાબમાં કે ગૌચરની જમીનમાં છે? તેની સ્થળ પર પંચરોજકામ કરીને ખરાઈ કરવાનું રજૂઆતમાં જણાવ્યું છે.
આ મોઝાર્ટ ફેક્ટરી ની આજુબાજુમાં સરકારી જમીનમાં એક કૂવો હતો. જે હાલ દેખાતો નથી તો તે કુવા અંગેની જમીનનું પંચરોજ કામ કરીને તે જમીનની હાલની તકે શું સ્થિતિ છે? તેની પણ તપાસ કરવામાં આવે. આ ફેક્ટરી ની આજુબાજુ સરકારી જમીન છે. તે પછી ગૌચરની જમીન હોય કે સરકારી ખરાબાની હોય પણ તેના ઉપર પેશકદમી થઈ છે અને પાકા બાંધકામો થઈ ગયા છે. આ સરકારી જમીન ખાલી કરાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે કલેક્ટર કચેરીએ થયેલી રજૂઆત પછી કલેકટર કચેરીએ થી પંચરોજ કામ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી છે. ત્યારે વાંકાનેર મામલતદાર પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવે છે કે પછી વોહી રફતાર ની જેમ કલેકટર કચેરીની સૂચના ના પત્રને પણ કચરા ટોપલીમાં ફેંકી દેશે તે આવનારો સમય માં જાણી શકાશે.