@Sachin pithva
સુરેન્દ્રરનગર જિલ્લામાં થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે આગામી તા. 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2022 સુધી યોજાશે. આ મેળાનાં સૂચારૂ આયોજન સંદર્ભે તરણેતર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અઘ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંબધિત અધિકારીઓ/પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા કલેકટરશ્રીએ આ ભાતીગળ મેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સુચના આપ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તે પ્રકારનાં ક્ષતિરહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે. કલેક્ટરશ્રીએ મેળાને ધ્યાનમાં રાખીને તરણેતર સુધીનાં વિવિધ રસ્તાઓની સ્થિતી, રસ્તાઓ પર સાઈન બોર્ડ ગોઠવવા સહિતની કામગીરી, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાનાં મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ-એમ્બ્યુલેન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ ઉપરાંત, મંદિરમાં દર્શનાર્થીઓ માટેની વ્યવસ્થા, કુંડમાં નહાતા સમયે દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ અને તરવૈયા સહિતની વ્યવસ્થા, વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્ટોલધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મેળામાં ઉપસ્થિત રહેનાર મંત્રીઓની મુલાકાતને ધ્યાનમાં લઈને કલેક્ટરએ આયોજન સંબંધી વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. મેળામાં આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી., ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે.
આ બેઠકમાં પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણી રામકુભાઈ ખાચર, જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, પ્રોબેશનરી આઈ.એ.એસ હિરેન બારોટ, જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યા, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, થાનગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તરણેતર સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.