હોળીની મજા બની સજા, વડતાલના ગોમતી તળાવમાં ડૂબી જતાં કોલેજના ત્રણ વિદ્યાર્થીના મોત
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે. જ્યારે 2ને બચાવી લેવાયા છે. યુવાનોના મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે.
વલ્લભ વિદ્યાનગરની એનવી પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ૧૨ વિદ્યાર્થીઓનું જૂથ ધુળેટી ઉજવવા વડતાલ આવ્યું હતું, ત્યારે તળાવમાં એક વિદ્યાર્થીનો પગ લપસતા ડૂબવા લાગેલ, જેને બચાવવા જતા એક પછી એક ૫ વિદ્યાર્થી તળાવમાં પડેલ, જેમાંથી ત્રણ ડૂબી ગયા હતા અને બે ને બચાવી લેવામાં આવેલ.
બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા.
બાદમાં તરવૈયાઓએ જરૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા બનેલા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ વડતાલ પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું આ ગ્રુપ હતું. ગ્રુપના લગભગ 12 લોકો ધૂળેટી રમ્યા બાદ અહીયા આવ્યા હતા અને ન્હાવા સમયે પગ લપસતાં ઘટના બની છે. પોલીસ કહ્યું કે, હજી મૃતકોના નામ માટે સગાવાલાઓને જાણ કરી છે. હાજર વિદ્યાર્થીઓનું ગ્રુપ પણ શોકમગ્ન થઈ ગયું છે.