@સચિન પીઠવા સુરેન્દ્રનગર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં અમદાવાદ-જામનગર, સાથે ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કસરાગોડ- તિરુવનંત વચ્ચે અન્ય 8 વંદે ભારત ટ્રેનોને પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર જામનગર – અમદાવાદ વંદે ભારત ટ્રેન પહોંચતા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ઉપપ્રમુખ પંકજભાઈ, અગ્રણી ધીરુભાઈ સિંધવ, મનહરસિંહ સહિતના માહાનુભાવોએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી ટ્રેનનું સ્વાગત કર્યું હતું.
સૌરાષ્ટ્રને મળેલ પહેલી વંદે ભારત ટ્રેનની વિશેષતાઓ
સૌરાષ્ટ્રને મળેલ પહેલી વંદે ભારત ટ્રેન વિશે વધુ વિગતો પ્રમાણે, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
આરામ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન વિશ્વ સ્તરીય આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, જે અંતર્ગત સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળી છે.ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના સ્ટોપજમાં સુરેદ્રનગરને સ્ટોપ મળતા જિલ્લાના મુસાફરો રેલવેની આ સેવાનો લાભ લઇ શકશે.
આ પ્રસંગે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, સમાજ અગ્રણીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.