આજે વર્લ્ડ હિયરિંગ ડે છે. જેમાં મોબાઈલ- હેડફોનનો વધુ ઉપયોગ ટાળવા નિષ્ણાતોની સલાહ છે. તેમજ કોરોના બાદ હવે બહેરાશનું જોખમ વધ્યું છે. તેમાં 15% જેટલા લોકો પીડિત છે. યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક છે. જો કાનને અસર કરે તો શ્રવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે.
વિશ્વ શ્રવણ દિવસની આજે ઉજવણી કરાઇ રહી છે
વિશ્વ શ્રવણ દિવસની આજે ઉજવણી કરાઇ રહી છે. રાજ્યભરમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ઇએનટી વિભાગના તબીબોના કહેવા પ્રમાણે કુલ વસ્તીના 15% લોકો એક અથવા તો બીજા પ્રકારે બહેરાશની બીમારીથી પીડાઈ રહ્યા છે. કોરોના મહામારી પછી યુવાનોમાં ભાગ્યે જ જોવા મળતી એક કાને બહેરાશ અચાનક જ વધી છે, કોવિડ પહેલા આવા કેસ છ મહિને એકાદ આવતા હતા, જોકે હવે મહિને 15 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે.
સતત મોબાઈલ, હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ
તબીબોનું કહેવું છે કે સતત મોબાઈલ, હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ, મોબાઈલ ફોન ઉપર સતત વ્યસ્ત રહેવું, હેડફોન વગેરે ઊંચા આવજે સાંભળવાની ટેવ પણ બહેરાશની સમસ્યા નોતરી શકે છે, કોરોનામાં વર્ક ફ્રોમ હોમ, હેડફોનનો વધુ પડતો વપરાશ જેવી બાબતો બહેરાશના વધુ કેસ માટે કારણભૂત મનાય છે. તબીબોના મતે સિવિયર કોવીડ થયો હોય તે લોકોને થ્રોમબોસીસ એટલે કે લોહીનો ગંઠાવ થાય છે, જે શરીરના કોઈપણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરીમાં અવરોધરૂપ બને છે. જો કાનને અસર કરે તો શ્રવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે.